કોઈ કે'શે કાન, કોઈ કાનજી રૂપાળો,
જા, અમે કે'શું યશોદાનો કનૈયો કાળો.
વાણીને મનની સરસ એક ચાળણીએ ચાળો,
આ જ રીતે જીભને સીધી સડક પર વાળો.
પાપપુણ્યોનો તું આજે મેળવી લે તાળો,
આખરી શ્વાસે પછી મળશે નહીં ગોટાળો.
લાગણીઓને અકળ ઊંડાણમાંથી કાઢી,
નિત્ય,વારંવાર, દિલના ઝીણા ગરણે ગાળો.
શબ્દ નાનકડો ભલેને ! હોય કામણગારો,
વેણ કડવા બોલવા ટાળી શકો તો ટાળો.
શેરના દ્વારો ઉઘાડીને ગઝલ સમજાવો,
શાને "રોચક" આમ ખોટા જીવ સૌના બાળો.
-અશોક વાવડીયા "રોચક"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો